અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રીલેશનશિપ

અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રીલેશનશિપ

અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રીલેશનશિપ

Blog Article

અમેરિકાનો ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન સાથે રીલેશનશિપમાં છે.

ટાઈગર વુડ્સે લખ્યું હતું કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસાના 2005માં લગ્ન થયા હતા. 12 વર્ષ સાથે રહ્યા બાદ 2018 માં તેમણે છૂટાછેડા લીધા હતા. તેમને પાંચ બાળકો છે. વેનેસાની પુત્રી ‘કાઈ’ જે સ્કૂલમાં ભણે છે, એ જ સ્કૂલમાં વુડ્સના બાળકો ‘સેમ’ અને ‘ચાર્લી’ પણ ભણે છે. વેનેસાની વય 47 વર્ષ છે.

ટ્રમ્પ જુનિયરના માતા ઈવાના ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા પત્ની છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાનાના 1977માં લગ્ન થયા હતા અને 1990માં તેમણે છૂટાછેડા લીધા હતા.

દુનિયાના શ્રેષ્ઠ ગોલ્ફર પૈકીના એક, ટાઈગર વુડ્સના ઘણી સ્ત્રીઓ સાથે રોમેન્ટિક સંબંધ રહી ચૂક્યા છે. તેણે 2004 માં એલિન નોર્ડેગ્રેન સાથે લગ્ન કર્યા હતા. 2010માં ટાઈગરે લગ્નેતર સંબંધ હોવાનું જાહેર થયા પછી બંનેના છૂટાછેડા થયા હતા. તેમને બે બાળકો છે. છૂટાછેડા પછી વુડ્સનો પ્રેમસંબંધ સ્કી રેસર ‘લિન્ડસે વોન’ સાથે રહ્યો હતો. એ પણ બે વર્ષમાં પુરો ગયો હતો. છેલ્લે તેમનો સંબંધ એરિકા હર્મન સાથે હતો. આ દરમિયાન વુડ્સ અને હર્મન કાયદાકીય વિવાદમાં ફસાયા હતા અને 2022માં સમાધાન કરીને છૂટા પડ્યા.

ટાઈગર વુડ્સ અંગત જીવનને ખાનગી રાખવામાં માને છે. તે ભાગ્યે જ તેમના પ્રેમપ્રસંગો વિશે સોશિયલ મીડિયામાં લખે છે. અલબત્ત, તે ક્યારે કોની સાથે પ્રેમમાં છે, એ છુપાવતો નથી. 2013માં તેણે એક પોસ્ટ મૂકીને લિન્ડસે વોન સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી હતી. એ સમયે તેણે લખ્યું હતું કે, આમ જાતે જ પ્રેમની જાહેરાત કરતા ફોટા મૂકી દેવાથી પાપારાઝી અને મીડિયાની કનડગત ઓછી કરી શકાય છે.

Report this page